ઈતિહાસ

કટારિ આ ૧૨ મી સદીમાં કાઠીઓએ વસાવેલ અને ૧૬મી સદીમાં રાવશ્રી કાયાણીએ તેમનું પાટનગર સ્થાપેલ (જેની વિગતો બોમ્બે ગેઝેટીઅરમાં છે.)

૪૦૦ વર્ષથી વધારે પ્રાચીન તીર્થ ૧૬ મી સદીમાં મોગલકાળમાં વિશાળ ભોયરા સાથે નું શ્રી કટારિયા સંઘે બનાવેલ. અને મુળનાયક તરીકે ચરમ તીર્થપતિ શ્રી મહાવી સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા અકબર બાદશાહ પ્રતિબોધક આ. શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ના પટ્ટશિષ્ય વિજયસેન સૂરિજીએ કરાવેલ.

આ પ્રાચીન ચમત્કારી મૂર્તિની વિશિષ્ટતા એ છે કે, મૂર્તિ જ્યારે ભગવાન સદેહે હતા તે દેહ પ્રમાણ છે.

આ તીર્થની કંઈક ચડતી પડતીઓ આવી. કાળક્રમે મુસ્લીમ શાસકોના આક્રમણ થકી પ્રભુજીને સંઘ વાંઢીઆ મુકામે લઈ ગયા. જ્યાં પ્રભુજી ૧૦૦ વર્ષથી વધારે સમય પરોણાગત તરીકે રહેલા. વિ.સં. ૧૯૭૭ માં મારવાડ પ્રદેશના મુનીશ્રી કનકવિજયજી મ.સા. નો વાંઢીઆની ચાતુર્માસની સ્થિરતા દરમ્યાન પ્રભુજીએ મુળ સ્થાને કટારીઆજી લઈ જવાના ભાવ જાગ્યા અને શ્રી સંઘના સહકારથી જીર્ણોદ્વાર કરી વિ.સ. ૧૯૭૮ માં અક્ષયતૃતીયાના શુભ દિને વાંઢીઆથી લાવીને પ્રભુજીને પુનઃ તેમના સ્થાને સ્થાપિત કર્યા અને દરમ્યાન ચમત્કારી ચકેશ્વરીદેવી કે જે સ્વયં પ્રગટ થઈ તેની પ્રતિષ્ઠા કરી. પ્રભુજી તથા ચકેશ્વરી દેવીના ચમત્કારની વાતો જે તે સમયે રચેલ સલુકામાં વર્ણવી છે. અને તીર્થનો વહીવટ માળીઆ નિવાસી શ્રેષ્ઠી અમૃતલાલભાઈ જાદવજી મહેતાએ સાંભળ્યો અને તીર્થના વિકાસની દિક્ષાઓ ખુલ્લી ગઈ તેમણે સંઘોના સહકારથી બીજો જીર્ણોદ્વાર વિ.સં. ૧૯૯૩માં કર્યો અને અન્ય જિનબિંબોની પ.પૂ. આ ભગવંત શ્રી કનકસૂરીશ્વરજી મ.સા. તથા ગુલાબવિજય મ.સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ, ત્યારબાદ ત્રીજો જીર્ણોદ્વાર પણ શ્રેષ્ઠી અમૃતલાલભાઈ મહેતાએ કરાવી જિનાલય નીચેના વિશાળ ભોયરામાં વિ.સ. ૨૦૧૧ ની સાલમાં ૫ જિનબીંબોની પ્રતિષ્ઠા કરાવી તીર્થનો મહિમાં વધારવામાં આવ્યો. ચોથો જીર્ણોદ્વાર શ્રી અમૃતલાલભાઈ મહેતાના અનુગામી શ્રેષ્ઠી અમૃતલાલભાઈ દલીચંદ મહેતાએ (જેનું એ.ડી. મહેતાના હુલામણા નામથી ઓળખાતા) કરાવી મંદિરને વિશાળ તીર્થ અનુરૂપ બનાવ્યું.

કાળક્રમે હજારો યાત્રીકો અને શ્રી વર્ધમાન જૈન બોર્ડીંગના સેંકડો વિદ્યાર્થીઓનું શ્રધ્ધાનું કેન્દ્ર ભગવાન શ્રી મહાવીર સ્વામી બન્યા. પરંતુ વિધિની વક્રતાએ ૨૬ જાન્યુઆરી ઈ.સ. ૨૦૦૧ ના રોજ આવેલ ધરતીકંપે સમગ્ર કચ્છની સાથે જીનાલયને પણ ધ્વસ્થ કર્યું. પરંતુ શ્રી સંઘ ના પુણ્યોદયે તમામ પ્રતિમાજીઓ સુરક્ષીત રહી અને તે સમયે ધ્વંસ્થ જીનાલયમાં આ પ્રતિમાજીઓ રાખવી યોગ્ય ન હોતા શ્રી આણંદ જૈન સંઘ સબહુમાન તમામ પ્રતિમાઓજીને આણંદ લઈ ગયેલ અને ત્યાં ચલ પ્રતિષ્ઠા કરાવેલ. સમય જતા પરમપુજ્ય આચાર્ય દેવ શ્રી કલાપૂર્ણ સૂરીસ્વરજી મહારાજ સાહેબના શુભ આશિર્વાદ અને પુજ્ય આચાર્ય દેવ શ્રી કલાપ્રભુ સૂરીસ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ તે પ્રતિમાઓજીને ધામ ધુમથી પુનઃ કટારીયા મુકામે લઇ આવ્યા અને ત્યારબાદ આ તીર્થની રાસિમેળ મુજબ પુજ્ય શ્રી ની આજ્ઞા અનુસાર મુળ નાયક તરીકે પાંડવ પુજીત શ્રી મુનીસુવ્રત સ્વામીની પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.