ગેડી ગામથી આગમન

વરસીતાપના તપસ્વીઓને શ્રી ઋષભદેવ પરમાત્માની નિશ્રા મળે તથા ભવિષ્યમાં વરસીતપના સામુહિક પારણાનું આયોજન આ તીર્થમાં થઈ શકે એ ઉદ્દેશથી આ “શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રાસાદ” નું નિર્માણ કરવામાં આવ્યું છે.

અદ્દભૂત કલાકૌશલ્યથી આ જાજરમાન સ્થાપત્ય સમગ્ર ભારત વર્ષમાં બેનમૂન અને અજોડ સ્થાપત્ય બની રહેશે.

આ પ્રાસાદમાં નવે ગ્રહોની જે જે દિશા છે તે તે દિશામાં જ તેના સ્વામિ અરિહંત પરમાત્માની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થશે.

દા.ત. ગુરુ ગ્રહની ઈશાન દિશા છે. તો ઈશાન દિશામાંજ તેના સ્વામી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થશે, સૂર્યગ્રહની દિશા પૂર્વ છે, તો પૂર્વ દિશામાં જ તેના સ્વામી શ્રી પદ્મપ્રભ સ્વામીની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થશે.

શ્રી શત્રુંજય પંચપરમેષ્ઠિ પ્રાસાદના અંદરના બધાજ સ્તંભો અને રંગમંડપનો આખો ઘુમટ તેમજ બારશાખો ઉત્તમ કાષ્ઠમાંથી બનાવેલ છે. જેમાં બાડમેર (રાજ.)ના કુશળ કારીગરો દ્વારા અદ્દભૂત નકશીકામ અને રૂપકામ કરવામાં આવેલ છે. જે જોતા રાણકપુર દેલવાડાની કોતરણી ચિત્તામાં ઉપસ્થિત થયા વગર નહિં રહે.

આવું નકશીદાર કાષ્ઠમય સ્થાપત્ય સમગ્ર ભારત વર્ષમાં વર્તમાન કાલે પ્રાયઃ સર્વપ્રથમ નિર્માણ પામ્યુ છે. જે દેશ – વિદેશના યાત્રિકો માટે આકર્ષણનું અને શ્રધ્ધાનું કેન્દ્ર બની રહેશે.

જેમના ઉપકારથી કચ્છ – વાગડ ધર્મભૂમિ બનેલ છે, અને સમૃધ્ધિના શિખરે પહોંચ્યું છે. એવા કચ્છ – વાગડ દેશોધ્ધારક સચ્ચારિત્ર ચૂડામણિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા. તથા ભદ્રમૂર્તિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પણ નાજુક અને રમણીય ગુરુમંદિરનું નિર્માણ શ્રી કટારીયાજી તીર્થમાં શ્રધ્ધા – કૃતજ્ઞતાના પુષ્પનો ઉમેરો કરે છે.

દર્શનાર્થી યાત્રિકોનું આતિથ્ય – સગવડતા સાચવવા સમયોચિત, સર્વ સગવડતાથી યુકત નૂતન ધર્મશાળા તેમજ ભોજનશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

રણના કાંઠે નવનિર્માણ પામેલ હોવા છતાં પણ પ્રાચીન કટારીયાજી તીર્થ અધ્યાત્મીક સાધનાનું કેન્દ્ર બની રહેશે, એટલું જ નહિ, પણ એના દર્શનથી ભાવુક આત્માઓના હ્રદય શ્રધ્ધા – ભક્તિની મધુરતાથી પ્લાવિત બની જશે.

એવો, આપ પણ અહિં દર્શનાર્થે પધારી અનુભવ કરો…